અલ્લામા હિલ્લી (અ.ર.) અને કિતાબ ‘અલફૈન’

વાંચવાનો સમય: 6 મિનિટ

પવિત્ર મઝહબ ઈસ્લામમાં અકીદાને જે મકામ અને મંઝેલત પ્રાપ્ત છે તે કોઈ બીજી બાબતને પ્રાપ્ત નથી. કુરઆને કરીમે સૌથી પહેલા તૌહીદ અને કયામતના અકીદાને ઈન્સાનોની સમક્ષ રજુ કર્યો છે અને અંબીયા તથા મુરસલીન (અ.મુ.સ.)એ પણ લોકોને સૌથી પહેલા એક માત્ર ખુદા અને તૌહીદનો અકીદો કબુલ કરવાની દઅવત આપી છે. ત્યારબાદ બીજા અકીદાઓ જેમકે નુબુવ્વત વિગેરે તથા અંબીયા અને મુરસલીન (અ.મુ.સ.)ની પછી તેમના જાનશીનો અને ઈલાહી વસીઓની વિલાયત અને સરપરસ્તી તથા તેમના માર્ગદર્શનમાં આઅમાલ અંજામ આપવા છે. અગર કોઈ શખ્સ પરવરદિગારની ખુબ વધારે ઈબાદત કરે, નમાઝ, રોઝા હજ્જ અને આ પ્રકારના બીજા ઈલાહી હુકમોની પાબંદી કરે પરંતુ અગર તે સાચા અકીદાઓની સાથે ન હોય તો તેનો કોઈ પણ અમલ પરવરદિગારની બારગાહમાં કબુલ થવાને લાયક નથી. જે અકીદાઓ વગર કોઈ પણ અમલ કબુલ થવાને લાયક નથી તેમાંથી એક અકીદો એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને વિલાયતનો અકીદો છે. એટલા જ માટે આલીમોએ પણ ઈમામત અને વિલાયતના અકીદા ઉપર અસંખ્ય કિતાબો લખી છે કે જેથી એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને

ઉમ્મતની રહેબરીમાં કોઈ શંકા બાકી ન રહે. આ ક્ષેત્રમાં અત્યંત લાજવાબ અને જડબાતોડ કિતાબો અસ્તિત્વમાં આવી છે. તે જ કિતાબો પૈકીની એક અઝીમુશ્શાન કિતાબનું નામ “અલફૈન’ છે. જેને મહાન

આલીમ, ફકીહ, મોતકલ્લીમ, તફસીરકાર અને ઉસુલી આલીમ હસન બીન યુસુફ બીન મુતહર હિલ્લી કે જેઓ અલ્લામા હિલ્લી (અ.ર.)ના નામથી પ્રખ્યાત છે, તેમણે લખી છે.

અલ્લામા હિલ્લી (અ.૨.) કોણ છે?

હસન બીન યુસુફ બીન મુતહર હિલ્લી કે જેઓ અલ્લામા હિલ્લી (અ.ર.)ના નામથી જાણીતા છે (વફાત હી.સ. ૬૭૬). તેઓ હિલ્લા શહેરમાં પૈદા થયા હતા. તેમણે ૧ર૦ થી વધારે કિતાબો અલગ અલગ ઈલ્મના બારામાં જેમકે ઉસુલ, ફિકહ, તફસીર, મન્તીક અને ઈલ્મે રેજાલ વિગેરે વિષયો ઉપર લખી છે. જે

આજે પણ ઈરાક અને ઈરાનના શીઆ હૌઝએ ઈલ્મીય્યાહમાં સંશોધન અને દર્સનો મૂળ સ્ત્રોત છે. અકીદાઓના બારામાં અત્યંત અઝીમુશ્શાન કિતાબો જેમકે બાબે હાદી અશર, કશ્ફુલ મુરાદ ફી શર્હે તજરીદુલ એઅતેકાદ. ખ્વાજા નસીરૂદ્દીન તુસી (અ.ર.)ની શીઆ અકીદાઓના અભ્યાસ અને સંશોધનમાં ખુબ જ મહત્વની કિતાબો ગણવામાં આવે છે. આ ઉપરાંત નહજુલ હક્ક વ કશ્ફુસ્સીદક, ખુલાસતુલ અકવાલ, અલ જવહરૂલ નઝીર, તઝકરેતુલ ફોકહા, કવાએદુલ એહકામ તથા ઘણી બધી શીઆ કિતાબો જાણીતી છે અને મહત્વની અસરો ધરાવે છે. અલ્લામા હિલ્લી (અ.ર.) ફકીહ હોવાની સાથોસાથ એક ઉમદા સાહિત્યકાર અને શાએર પણ હતા.

તેમણે શરૂઆતની તઅલીમ તેમના પિતાના વતનમાં પોતાના વાલીદે ગીરામીની પાસેથી પ્રાપ્ત કરી અને ખુબ જ ઝડપથી તમામ ઈલ્મ અને અલગ અલગ ક્ષેત્રોમાં નિપૂણતા હાસીલ કરી લીધી. બાલિગ થવા પહેલા તેમણે ઈજતેહાદનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો હતો.

ત્યાં સુધી કે મોહક્કીકે હિલ્લી કે જેઓ શીઆઓમાં મરજઈય્યતના હોદ્દા ઉપર બિરાજમાન હતા તેમની વફાત હી.સ. ૬૭૬ માં થઈ. તેમની વફાત પછી ફકત ર૮ વર્ષની વયે આપે શીઆઓની મરજઈય્યત અને આગેવાનીનો મહત્વનો કાર્યભાર સંભાળી લીધો હતો. તેઓ ખુબ જ જબરદસ્ત ફકીહ હોવાની સાથોસાથ એક અજોડ મોતકલ્લીમ પણ હતા. તેમના મુનાઝેરા અને અસરોએ સુલ્તાન મોહમ્મદ ખુદાબંદેને શીઆ મઝહબ ઈખ્તિયાર કરવા અને તેને ઈરાનમાં પ્રચલિત કરવા ઉપર તૈયાર કરી દીધા હતા.

આ બધા કમાલ અને ખાસીયતો તથા દીની ખિદમતોના આધારે આપને ઘરવાળાઓ ખુબ જ પહેલાથી જમાલુદ્દીનના લકબથી યાદ કરતા હતા.

આપની અસંખ્ય કિતાબોમાં એક મહત્વની કિતાબનું નામ ‘અલફૈન’ છે.

કિતાબ અલફૈન

અલ્લામા હિલ્લી (અ.ર.)ની મશ્ડુર કિતાબ “અલફૈન’નું આ નામ “અલફૈનુલ ફારૂક બય્નસ્સીદકે વલ મૈન’માં ‘મૈન’નો અર્થ ખોટુ છે. એટલે કે આ કિતાબમાં ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈમામત ઉપર સાચા અને ખોટામાં તફાવત દર્શાવતી બે હજાર દલીલોની નોંધ કરવામાં આવી છે.

આ કિતાબ અરબી ભાષામાં લખવામાં આવી હતી. શીઆ ઈમામીયામાં ઈલ્મે કલામમાં આ કિતાબને ખુબ જ મહત્વની કિતાબ ગણવામાં આવે છે કે જે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) અને બીજા મઅસુમીન (અ.મુ.સ.)ની ઈમામત અલ્લાહ તબારક વ તઆલા તરફથી છે તે વિષય ઉપર અત્યંત અઝીમુશ્શાન અને લાજવાબ કિતાબ છે.

અલ્લામા હિલ્લી (અ.ર.)એ આ કિતાબમાં અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ઈમામતને સાબિત કરતી એક હજાર દલીલો અને વિરોધીઓના વિરોધને રદ કરતી બીજી એક હજાર દલીલોની નોંધ કરી છે.

અલ્લામા હિલ્લી (અ.ર.)એ પોતાના પુત્ર ફખ્રૂલ મોહક્કેકીન માટે આ કિતાબ લખી હતી. મૂળ કિતાબ બે ભાગમાં વહેંચાયેલી છે. અલ્લામા હિલ્લી (અ.ર.) પછી તેમના પુત્ર ફખ્ર્લ મોહક્કેકીને એકત્ર કરીને તેને એક કિતાબનું સ્વરૂપ આપ્યુ છે. ફખ્ર્લ મોહક્કેકીને અંતમાં લખ્યુ છે કે હી.સ. ૭૫૪ માં નજફે અશરકમાં મેં આ કિતાબને તરતીબ આપી અને અલ્લામા હિલ્લી (અ.ર.)એ કિતાબના અંતમાં લખ્યુ છે કે આ અંતિમ અર્થ છે કે જેને હું દલીલ સ્વરૂપે લખી રહ્યો છે. જેની કુલ સંખ્યા ૧૦૩૮ દલીલો છે. પરંતુ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ઈમામત માટે ઘણી વધારે દલીલો મૌજુદ છે. પરંતુ અમે ફકત આટલી દલીલો ઉપર જ સંતોષ માનીશુ.

અલ્લામા હિલ્લી (અ.ર.)એ સંપૂર્ણ કિતાબ ‘અલફૈન’ને એક પ્રસ્‍તાવના અને બે ડીબેટ અને એક ખાતેમા ઉપર આધારિત લખી છે. બે ડીબેટમાં એક હજાર દલીલો ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈમામતને સાબિત કરતી અને એક હજાર દલીલો વિરોધીઓની શંકાઓના જવાબમાં અને તેઓની શંકાઓને રદ્દ કરતા લખી છે. જેમકે ખુદ અલ્લામા હિલ્લી (અ.ર.)એ પ્રસ્તાવનામાં આ વાતની નોંધ કરી છે.

પહેલી ચર્ચાઃ ઈમામ કોણ છે?

બીજી ચર્ચાઃ ઈમામ (અ.સ..)નું અસ્તિત્વ લુત્ફે આમ છે અને પયગમ્બરે અકરમ (સ.અ.વ..)નું અસ્તિત્વ

લુત્ફે ખાસ છે.

ત્રીજી ચર્ચાઃ ઈમામતની દલીલમાં ૧૮ મુળભૂત દલીલોનું બયાન છે.

ચોથી ચર્ચાઃ ઈમામ (અ.સ.)ની નિયુક્તિ અને તેમની નિમણુંક લુત્ફ છે.

પાંચમી ચર્ચાઃ ઈમામતને બદલી શકાતી નથી.

છઠ્ઠી ચર્ચાઃ ઈમામની નિમણુંક વાજીબ હોવી અને ઈમામની નિમણુંક કેવી રીતે થાય છે તથા આ

બાબતને પણ સાબિત કરી છે કે ઈમામને નિયુકત કરવાનો એક માત્ર રસ્તો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની નસ્સ છે. આ બાબતને ર૯ પ્રકારે સાબિત કરવામાં આવી છે.

સાતમી ચર્ચાઃ ઈમામ માટે ઈસ્મત જરૂરી હોવી અને તે જ ચર્ચામાં ૧૦રર દલીલો ૧૦૦-૧૦૦ દલીલો કરીને નોંધવામાં આવી છે. એટલે કે ૧ થી લઈને ૧૦૦ સુધી પછી બીજા તબક્કામાં ફરીવાર ૧ થી ગણત્રી

શરૂ કરીને ૧૦૦ સુધી. એટલે કે પહેલા ૧૦૦, બીજા ૧૦૦, ત્રીજા ૧૦૦ અને આ રીતે પઢનારાઓ માટે સરળતા ઉપલબ્ધ કરાવીને ૧૦૦-૧૦૦ ની સંખ્યામાં વહેંચીને ૧૦૦૦ દલીલો સંપૂર્ણ કરી છે જે અત્યંત જીણવટભર્યું અને મહેનત માંગી લે તેવુ કાર્ય છે.

એક વાત ઉપર અહીંયા ધ્યાન આપવાની જરૂર છે. જેમકે અલ્લામા હિલ્લી (અ.ર.)એ પણ તેનું વર્ણન કર્યું છે. ૧૦૦૦ દલીલો ઈમામતની સાબિતી માટે અને ૧૦૦૦ દલીલો વિરોધીઓના વિરોધને રદ્દ કરવા માટે. પરંતુ તે બાબત કે જે અલ્લામા હિલ્લી (અ.ર.)એ કિતાબના અંતમાં બયાન કરી છે તે અંતિમ દલીલ છે કે જેને અમે અહીંયા રજુ કરી રહ્યા છીએ. તે દલીલનો નંબર ૧૦૩૮ છે. આપણે અહીં એ દલીલ ઉપર જ સંતોષ માનીશુ. તેનાથી એ ખબર પડે છે કે અલ્લામા હિલ્લી (અ.ર.)એ અંતમાં પોતાના ઈરાદાથીને બદલી નાખ્યો હોતે અને ફકત આટલી દલીલો ઉપર જ સંતોષ માન્યો અથવા તો પછી અલ્લામા હિલ્લી (અ.ર.)ના ફરઝંદ ફખ્રૂલ મોહક્કેકીને કિતાબને તરતીબ આપતા સમયે બાકીની દલીલો અપ્રાપ્ય હોવાના કારણે અંદાજે ૯૦૦ જેટલી દલીલોને છોડી દીધી છે.

પરંતુ કિતાબ ‘અલકૈન’ના આખરી લખાણના મૌજુદ હોવાથી એ જાણવા મળે છે કે તે દલીલો આખરે કિતાબમાંથી ગુમ કરવામાં નથી આવી. બલ્કે તે કિતાબની દરમ્યાનની જ દલીલો હતી કે જે કદાચ ઝમાનાની ઉથલ પાથલે તેને ગુમ કરી દીધી છે.

અલ્લામા હિલ્લી (અ.ર.)એ કિતાબની શરૂઆતમાં એક વિગતવાર પ્રસ્‍તાવના લખ્યા પછી બે મુનાઝેરા પણ લખ્યા છે. પરંતુ કિતાબની શરૂઆતમાં કિતાબના અંતમાં જે લખવાનો વાયદો કરવામાં આવ્યો છે  તે કિતાબમાં જોવા મળતો નથી.

મર્હુમ અલ્લામા હિલ્લી (અ.ર.)એ સમગ્ર કિતાબમાં અકલી અને નકલી દલીલોનો એક સાથે ફાયદો ઉઠાવ્યો છે. એટલે કે તેમાં કોઈ વિષયવાર ગોઠવણી અથવા તો વિષયોના તફાવતનો ખ્યાલ રાખવામાં

આવ્યો નથી. જો કે અલ્લામા હિલ્લી (અ.ર.)નું મૂળ સંબોધન એ લોકો માટે છે કે જેઓ ઈમામતના હોદ્દાના વિરોધીઓ છે, એટલા માટે પોતાની દલીલોમાં મહત્તમ કુરઆને કરીમની આયતોથી ફાયદો ઉઠાવવાની સાથોસાથ મહાન વિદ્દાનોની જ હદીસો અને રિવાયતોથી ગવાહો રજુ કર્યા છે. અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની રિવાયતોને ખાસ બાબતને ધ્યાનમાં રાખીને નોંધી નથી.

જો કે અલ્લામા હિલ્લી (અ.ર.)ની શખ્સીય્યત એક ખુબ જ મહાન ઈલ્મી શખ્સીય્યત છે એટલા માટે દલીલોની ચર્ચામાં અલગ અલગ ઈલ્મો અને મહારતોની ઝલક જોવા મળે છે અને અલગ અલગ તથા વિવિધ દલીલો થકી વાતને રજુ કરી છે. ચાહે તે અકલી દલીલોમાં અલગ અલગ પ્રકારના ફેંસલાઓ હોય, મન્તીકી કયાસ જેમકે ઝર્ડ્ચ્યાહ, મુમ્કીન એલા ઈમ્કાન, અલખાસ વલ આલીમ અથવા નકલી દલીલોના અલગ અલગ અર્થો અને બયાનના ભાવાર્થો હોય. દરેક ઈલ્મની નિપુણતાથી લેખકે ફાયદો ઉઠાવ્યો છે. જ્યાં દુશ્મન માટે જવાબ આપવો તો દૂરની વાત છે વિચારવાની શકયતા પણ બાકી રહેતી નથી અને લેખક તેમાં ઘણી હદે કામ્યાબ પણ થયા હોય તેવું જોવા મળે છે.

કિતાબ ‘અલફૈન’ના ઘણા ખરા અર્થો અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈમામત અને ખિલાફતને સાબિત કરનારી દલીલો ઉપર આધારિત છે. હક્કને છીનવી લેનારાઓની લાયકાતને બાતિલ કરતી અથવા તો રદ કરતી દલીલો નથી. એટલા માટે કે જ્યારે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈમામત અને વિલાયત સાબિત થઈ જાય તો પછી બીજાઓની ખિલાફત અને ઈમામત વહેમ અને કલ્પનામાં પણ આવી શકે નહિ.

આ અઝીમુશ્શાન કિતાબ જો કે પોતાના વિષય અને દલીલોના તરીકાથી સૌથી અલગ તરી આવતી કિતાબ રહી છે. એટલા માટે તે હંમેશા ધ્યાન આપવા લાયક અને અલગ અલગ સ્વરૂપે છપાતી રહી છે તથા ઈરાન અને ઈરાક તથા બીજી જગ્યાઓએ પણ તે વારંવાર છપાતી રહી છે.

હી.સ. ૧૪૦૯ માં પણ તેનું પ્રકાશન થયુ છે. જો કે કિતાબના અંતમાં ઢંગની અનુક્રમણિકા જોવા મળતી

નથી. પરંતુ કિતાબના હાશીયામાં જે બાબતો અને અર્થોનો વધારો કરવામાં આવ્યો છે તે અત્યંત ફાયદાકારક અને ખુબ જ માહિતી સભર છે. કારણકે કિતાબના લખાણમાં જે બારીક અને જીણવટભરી દલીલો રજુ કરવામાં આવી છે તેને ખુબ જ ઉમદા તરીકાથી સ્પષ્ટ કરીને રજુ કરવામાં આવી છે અને તેણે કિતાબથી ફાયદો ઉઠાવવામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

આપણે બધાએ ખુદાવંદે આલમ પાસે તે કિતાબનો અભ્યાસ કરવાની તૌફીક પ્રાપ્ત કરવાની દોઆ કરવી જોઈએ. અગર તે દલીલોને સમજીને કોઈ તેનો અભ્યાસ કરે તો તેને ઈમામતના વિષયમાં એક સારો એવો કાબુ મળી જશે. આ કિતાબ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ઈમામતના બચાવમાં એક અમુલ્ય અને મહાન હથિયાર અને ખઝાનો છે અને તે કયારેય ખત્મ થનારો નથી.

અલ્લાહ તબારક વ તઆલાથી દોઆ કરીએ કે ખુદાયા! કિતાબના લેખક અલ્લામા હિલ્લી (અ.ર.) અને તેમના ફરઝંદ ફખ્રૂલ મોહક્કેકીન રિઝવાનુલ્લાહે તઆલા અને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાયતનો બચાવ કરનારાઓ બીજા લોકોની પાકો પાકીઝા રૂહોને તેમના આકા અને મૌલા અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની સાથે મહશુર ફરમાવે અને અલી (અ.સ.)ના વારીસ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુરમાં જલ્દી ફરમાવે અને ગદીરી ઈસ્લામની હુકુમતના કાએમ થવાનો વાયદો જલ્દીથી સંપૂર્ણ ફરમાવે. તેમજ આપણને દરેકને ઈમામ (અ.સ.)ના સાથીઓ અને મદદગારોમાં શુમાર ફરમાવે. આમીન.

admin

Recent Posts

પસંદગી કે પછી નિમણુંક

એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે.…

4 months ago

હદીસે ગદીર ઉપર ઈબ્ને તૈમીય્યાના વાંધાઓ અને તેના જવાબ

૧૮ મી ઝિલ્હજ્જ હી.સ. ૧૦ માં ખુદાવંદે આલમના હુકમ ઉપર અમલ કરતા રસુલે ઈસ્લામ હઝરત…

4 months ago

હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નઝરમાં ભાગ-૪

الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં સેંકડો શુક્ર અદા…

4 months ago

દરેક ઝમાનામાં ખુદાવંદે આલમના પ્રતિનિધિની જરૂરત

જેવી રીતે ખુદાવંદે આલમે મખ્લુકાતને દુનિયામાં પૈદા કર્યા પછી તેઓની જરૂરતો પણ ઉપલબ્ધ કરાવી કે…

4 months ago

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (બીજો ભાગ)

ફખ્રે રાઝીની ખોટી સમજણ આ બાબતમાં ફખ્રે રાઝી કહે છે કે ‘ખુદાવંદે આલમે પહેલા તબક્કામાં…

4 years ago

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (પ્રથમ ભાગ)

રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોમાં બે વિચારસરણીમાં સૌથી જટિલ અને સૌથી મોટો વિરોધાભાસ મુસલમાનોની…

4 years ago