હદીસે અશ્રએ મુબશ્શેરહ એક ઘડી કાઢેલી હદીસ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ

એહલે સુન્નતની દરમ્યાન એ મશ્હુર અને પ્રખ્યાત હદીસોમાંથી એક હદીસ, હદીસે અશ્રએ મુબશ્શેરહ છે. અરબી ભાષામાં ‘અશ્રહ’ નો અર્થ થાય છે ‘દસ’ અને ‘મુબશ્શેરહ’નો અર્થ થાય છે ‘જેને બશારત આપવામાં આવી છે’. તેથી આ હદીસ વડે એહલે સુન્નત હઝરાત એવુ બતાવવા ચાહે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પોતાના દસ સહાબીઓને જન્નતની બશારત (ખુશખબરી) આપી છે. તેથી તેઓ બધા એકમત છે કે રસુલે ખુદા (સ.અ.વ.) પછી આ દસ વ્યકિતઓ સૌથી અફઝલ વ્યકિતઓ છે. પરંતુ આ હદીસ ઉપર થોડો વિચાર અને ઉંડો અભ્યાસ કરવાથી એ માલુમ થાય છે કે આ હદીસ સનદ તથા સાબીતીની દ્રષ્ટિએ ભરોસાપાત્ર નથી. કારણકે આ હદીસ ઘણી બધી ઘડી કાઢેલી હદીસોમાંથી એક હદીસ છે.

આ વાત ઉપર પણ ધ્યાન આપવું જરી છે કે એહલે સુન્નત હઝરાતે આ દસ શખ્સોની તીવ્ર મોહબ્બતના કારણે આ હદીસ ઉપર સંશોધન કર્યું નથી. આ લેખમાં અમારો એ ઈરાદો છે કે જે કાંઈ આ હદીસમાં આવ્યું છે તેની ઉંડી તપાસ કરવામાં આવે અને તેમાં અમારો એવો ઈરાદો હરગીઝ નથી કે જે ફઝીલતો અને બશારતો સામાન્ય રીતે સહાબીઓના બારામાં જોવા મળે છે તેનો ઈન્કાર કરીએ. કારણકે અમે એ અકીદો ધરાવીએ છીએ કે સહાબીઓમાંથી અમૂક સહાબીઓ જેમકે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), જ. અમ્માર બિન યાસીર (ર.અ.), જ. સલમાને ફારસી (ર.અ.), જ. મીકદાદ બીન અસવદ (ર.અ.), જ. ઝૈદ બીન સોહાન (ર.અ.), જ. બીલાલે હબશી (ર.અ.), જ. અબ્દુલ્લાહ બીન સલામ (ર.અ.) અને અમૂક બીજા સહાબીઓને રસુલુલ્લાહ (સ.અ.વ.)તરફથી ચોક્કસપણે જન્નતની બશારત મળી હતી અને આ લોકો ખરેખર જન્નતી છે. બલ્કે અમૂક તાબેઈન જેમકે જનાબે ઔવેસ કરનીને પણ રસુલુલ્લાહ (સ.અ.વ.) તરફથી જન્નતની બશારત મળી ચુકી છે.

ઘડી કાઢેલી હદીસનું વર્ણન:

આ હદીસને અમૂક સહાબીઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી વર્ણવી છે.

(અ) હદીસ અબ્દુરરેહમાન બીન ઔફથી:

એહમદ બીન હમ્બલે ‘મુસ્નદ’માં અને તીરમીઝી એ ‘સોનન’માં અને નેસાઈ એ ‘ફઝાએલુસ્સહાબા’માં કુતયબા બીન સઈદથી તેણે અબુલ અઝીઝ બિન મોહમ્મદ દરાવરદીથી, તેણે અબ્દુરરેહમાન બીન હોમૈદથી તેણે તેના પિતા અબ્દુરરેહમાન બીન ઔફથી વર્ણવ્યું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘અબબુક્ર જન્નતમાં છે અને ઉમર જન્નતમાં છે અને ઉસ્માન જન્નતમાં છે અને હઝરત અલી (અ.સ.) જન્નતમાં છે અને તલ્હા જન્નતમાં છે અને ઝુબૈર જન્નતમાં છે અને અબ્દુરરેહમાન બીન ઔફ જન્નતમાં છે અને સાઅદ જન્નતમાં છે અને સઈદ જન્નતમાં છે અને અબુ ઉબૈદાહ બીન જરરાહ પણ જન્નતમાં છે. ’ 1

તીરમીઝીએ ઉપરોકત હદીસ નકલ કર્યા પછી લખ્યું છે: અમને મુસ્અબે ખબર આપી છે અબ્દુલ અઝીઝ બિન મોહમ્મદ થકી, તેણે અબ્દુલ અઝીઝ બિન હુમૈદ થકી, તેણે તેના પિતા થકી અને તેણે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી આ રીતની હદીસને અને તેમાં તેણે અબ્દુરરેહમાન બિન ઔફથી નકલ કરી નથી.

હદીસની સમીક્ષા:

આ હદીસ ઘણા બધા પાસાઓથી શંકાસ્પદ છે:-

  1. મુસ્અબ થકી તીરમીઝીની હદીસો કોઈપણ પ્રકારની શંકા વિના એક મુરસલ2 હદીસ છે. કારણકે હોમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફએ પયગમ્બર (સ.અ.વ.)ને જોયા નથી અને આ હદીસ જે પહેલા તરીકાથી પણ નકલ થઈ છે તે મુરસલ દેખાય છે. કારણકે હોમૈદ બીન અબ્દુરરેહમાન ફલ્લાસ અને એહમદ બીન હમ્બલ અને અબી ઈસ્હાકે હરબી અને ઈબ્ને અબી આસીમ અને ખલીફા બીન ખય્યાત અને યાકુબ બીન સુફયાન અને ઈબ્ને મોઈનના કથન મુજબ તે હીજરી 150 માં વફાત પામ્યો3 અને તે વરસે તેની વય 73 વર્ષ હતી. એટલેકે હીજરી સન 32 માં જ્યારે તેના પિતા અબ્દુરરેહમાન બીન ઔફનો ઈન્તેકાલ થયો તે સમયે અથવા તેના પછી તેની વિલાદત થઈ તેની ઉમ્ર મુશ્કીલથી 1 વર્ષની હતી. તો પછી તે કેવી રીતે શકય છે કે હોમૈદ તેના પિતાથી આ હદીસ નકલ કરે. જ્યારે કે તેણે તેના પિતાને અમૂક દિવસોથી વધારે જોયા પણ નથી?!

આજ કારણે બુખારીએ કહ્યું કે: હોમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફની હદીસ, તેના પિતા થકી સઈદ બીન ઝૈદ થકી છે તે કરતા વધારે સાચી છે. 4

  1. હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફને આ હદીસમાં તોહમત અને ખોટી હદીસો ઘડનારાથી પર ન ગણી શકાય કારણકે તે એ લોકો પૈકીનો એક છે કે જે લોકો મોઆવીયા તરફથી આવી હદીસો ઘડવા ઉપર નિમવામાં આવ્યા હતા.
  2. આ હદીસના રાવી અબ્દુરરેહમાન બીન ઔફ તે દસ લોકોમાંથી છે કે જે હદીસમાં આવ્યા છે તે વાતથી એ બદગુમાની થાય કે શકય છે કે તેણે આ હદીસને પોતાની શાનમાં ઘડી કાઢી હોય.
  3. અબ્દુલઅઝીઝ બીન મોહમ્મદ બીન ઓબૈદ દરાવરદી આ હદીસની સનદમાં આવ્યો છે. ઘણા બધા નિષ્ણાંત હદીસવેત્ત્ાાઓ વડે તે ટીકા પાત્ર, વખોડાયેલ અને બિનભરોસાપાત્ર ગણવામાં આવ્યો છે.

અબુ ઝરઆ કહે છે કે: તેની યાદશકિત બરાબર નથી.  નેસાઈ તેને હદીસ મજબુત5  નથી માનતા. અબુ હાકીમ કહે છે કે: તેની હદીસોને દલીલ ન બનાવી શકાય. 6

ઈબ્ને હજર કહે છે કે: બુખારીએ તેનાથી બે હદીસો સિવાય બીજું કંઈ નકલ નથી કર્યું અને તે બન્ને હદીસોને પણ અબ્દુલ અઝીઝ ઈબ્ને અબી હાઝીમ અને બીજાઓથી સંબંધિત કરી છે.

(બ) સઈદ બીન ઝૈદ દ્વારા:

વધુ કરીને હદીસે ‘અશ્રએ મુબશ્શેરહ’ની સનદો સઈદ બીન ઝૈદ બીન ઉમ્ બીન નુફૈલે અદવી તરફ પલટે છે કે રાવીઓમાંથી પાંચ લોકોએ તેનાથી આ હદીસ નકલ કરી છે.

  1. અબ્દુલ્લાહ બીન ઝાલીમ માઝતીથી રિવાયત:

અકીલી એ તેની હદીસને સાચી ઠરાવેલી છે અને ઈબ્ને અદીએ બુખારીના હવાલાથી આ જ વાતને નકલ કરી છે. 7  હાકીમ નેશાપુરી એ ‘અલ મુસ્તદરકે અલસ્સહીહૈન’માં લખ્યું છે કે: બુખારી અને મુસ્લીમે અબ્દુલ્લાહ બીન ઝાલીમની રિવાયતોથી દલીલ નથી કરી. 8  ઝહબી એ પણ ‘તલ્ખીસુલ મુસ્તદરક’માં લખ્યું છે કે બુખારી અબ્દુલ્લાહ બીન ઝાલીમનું વર્ણન કરતા લખે છે કે તેની હદીસ સાચી નથી. 9

  1. અબ્દુરરેહમાન બીન અખ્નસથી રિવાયત:

ઈબ્ને હજરે તેને ‘મસ્તુર’ કહ્યો છે10 અને સરખ્ખીએ ‘મસ્તુર’ને ફાસીક અને કાફીર, અક્કલ વિનાનો અને ખ્વાહીશ પરસ્તોના સમૂહમાં ગણ્યો છે અને કહ્યું છે કે મોહમ્મદ બીન હસન શય્બાની એ તેની સ્પષ્ટતા કરી કે તેની રિવાયત ખબરે ફાસીક જેવી છે. 11  જ્યારે કે સાચી ખબર વિષે શરત રાખવામાં આવી છે કે તેને નકલ કરનાર અદ્લ માટે મશ્હુર હોવો જોઈએ.

આ સનદમાં એક બીજી શંકા એ છે કે મોહમ્મદ બીન તલ્હા બીન મસરફયામી કુફી આ સનદમાં આવ્યો છે અને નિસાઈએ આ શખ્સને ભરોસાપાત્ર નથી સમજ્યો અને ઈબ્ને મોઈને તેને ઝઈફ કહ્યો છે અને ઈબ્ને સઅદ કહે છે કે તે નકારવા લાયક હદીસો ધરાવનારો છે.

ભાગ 2 વાંચવાનું ચાલુ રાખવા માટે અહીં ક્લિક કરો …..

 

ગો ટૂ ટોચ